રાજેષ એલ.પટેલ (દાંતેજ )
“નયન, એક ચોપડી મને પણ વાંચવા આપતો જા ને ! ” ગામના પાદરે બેઠેલા હરીશકાકાએ પુસ્તકાલયમાંથી પુસ્તકો લઈને પાછા ફરતા નયનને કહ્યુ .
“આવ ,નયન અમારી સાથે થોડીવાર બેસતો ખરો અને હા ,તુ આ બધી ચોપડીઓ વાંચે છે એનો લાભ અમને પણ આપને !” ચંપકભાઈએ પણ નયનને આવકાર્યો .
ઘણા સમય પછી સાતેક ,વડીલો અને મિત્રો સાથે નયન વાત કરવા બેસી ગયો .વાંચનના રસીક નયને ગામગોષ્ઠિની શરૂઆત કરી ,”વડીલો /મિત્રો ,ચાલો તો આજે આપણે “જીવન “વિષે વાત કરીએ .
જન્મ અને મરણ વચ્ચેનો સમય એટલે જીવન ;
જીવન એટલે વહેતુ ઝરણુ :
જીવન એટલે ઘરથી સ્મશાન સુધીનો રસ્તો ;
જીવન એટલે અણધારી મંઝિલની સફર …વગેરે વગેરે .
આપણે જન્મબાદ જેમ જેમ મોટા થતા જઈએ ત્યારે માતાપિતા ,ભાઈબહેન ,કાકા,ફોઈ જેવાજુદાજુદા કૌટુંબિક સંબંધો ,આસપાસનો માહોલ ,મિત્રવર્તુળ /સામાજિક સંબંધો ,શિક્ષણ ,વાંચન ,ફોન ,ટી. વી .,કોમ્પ્યુટર જેવા જુદા જુદા માધ્યમોમાંથી મળતી માહિતીઓની આપણા મન પર અસર અને તેનાથી બાળપણથી જ જીવન માટે બંધાતી જુદી જુદી આશા ,અપેક્ષા અને ધ્યેય .જો કે આ આશા ,અપેક્ષા ,ધ્યેયમાં બાળપણ ,કિશોરાવસ્થા ,યુવાની, વૃદ્ધાવસ્થા જેવી જીવનની અવસ્થા પ્રમાણે ફેરફારો પણ થતા જ રહે છે .
સામાન્ય રીતે આપણા પોતાના જીવન માટે પણ આપણે ઘણી બાબતોમાં બીજાના પર જ આધારિત હોઈએ છે ,જેમ કે પૃથ્વીપર આપણા અવતરણનું માધ્યમ – માતાપિતા ;
આપણી ઓળખ માટેનું નામ – ફોઈ કે અન્ય સંબંધો ;
કેળવણી અને શિક્ષણ – ઉછેર દરમ્યાનનો સામાજિક માહોલ ,શાળા ,મહાશાળા કે વિશ્વવિદ્યાલય ;
મનોરંજન /રમતગમત – મિત્રવર્તુળ ,રેડીઓ /ટી.વી.,ફિલ્મ ,ઇલેકટ્રોનિક માધ્યમ વગેરે .
આ ઉપરાંત જીવનનિર્વાહના જુદા જુદા પડાવો ,સામાજિક રીતરિવાજો ,તંદુરસ્તી વગેરે માટે પણ આપણે કુદરતી સ્રોતો અને અન્ય પર આધારીત હોઈએ છીએ . હા ! આ બધુ દરેક વ્યક્તિના જીવનમાં સરખું જ હોય એવુ જરૂરી નથી . આદરણીય વડીલો તમે પણ તમારા અનુભવનો અમને લાભ આપો .”
હરીશકાકા આ ગોષ્ટિને આગળ વધારતા બોલ્યા ,”નયન તેં જીવન વિષે ટૂંકમાં ઘણી જ ગૂઢ વાત કરી .આજ તો વાંચનનું મહત્વ છે .અને એટલે જ કહી શકાય કે કે વાંચન તથા અનુભવ શબ્દ થઈને પણ બીજાને શીખવે છે .આજના સભ્ય માનવ સમાજમાં કૌટુંબિક માહોલ ,વડીલોના જીવન અનુભવના આધારે ભાવિ પેઢીની જરૂરીયાતોની દૂરંદેશીને ધ્યાનમાં લઇ જન્મથી જ અપાતી ઉછેર દરમ્યાનની દોરવણી ,શિક્ષા અને લક્ષ્યાંકના કારણે આજના માણસની સફળતા /કાર્યકુશળતા વધી રહી છે . એટલે જ જેમ કાળક્રમે જન્મથી માણસની જાતિ નક્કી થતી ગઈ તેવી રીતે જ આજે વ્યાવસાયિક રીતે પણ આગળ પડતા કુટુંબો તૈયાર થતા ગયા .હેમંતભાઈ તમારુ શું માનવુ છે ?”
વાતનો દોર આગળ વધારતા હેમંતભાઈ બોલ્યા ,”ઘણા મહાનુભાવો કહે છે તેમ હવે બાળકમાંથી સીધા યુવાનો જ બની જાય છે .કિશોરાવસ્થા આનંદ પ્રમોદ કે ઘડતર માટે હતી તે વિદ્યાભ્યાસ કે કોચીંગ ક્લાસીસે લઈ લીધી છે . આ ઝડપી જમાનાની એક અવળી અસર એ પણ છે કે મનગમતું કાર્યક્ષેત્ર મળી ગયુ હોય ત્યારે યુવાનીમા જ માણસ કારકિર્દી પણ બનાવી લેતા હોય ત્યારે ‘બે મિનિટનો વિશ્રામ ‘જેવી વાત કરવા વિચાર થાય કે આવા સમયે અપ્રદર્શીત રહેતી કેટલીક લાગણી કે વણ બોલાયેલ શબ્દો માટે પણ વિચારવા જેવુ ખરુ !
જેમકે પહેલાના માણસો દરેક બાબતમાં બચતને વધુ મહત્વ આપતા જયારે આજના ઝડપી/ઉપભોક્તાવાદના સમયમાં બચતને બદલે વધુ ધન ઉપાર્જન ,શારીરિક સજ્જતા માટે ચોવીસ કલાક ચાલતી હેલ્થ ક્લબ ,ઝડપી વાહન/ સંદેશા વ્યવહાર વગેરેના કારણે આપણે ફક્ત સમયનો જ ભોગ આપીએ છીએ .ટૂંકમાં દરેક માણસે સમયનું યોગ્ય આયોજન કરી જીવનની જરૂરિયાતોનો અગ્રીમતાક્રમ નક્કી કરવો ઘણો જ અગત્યનો થઇ ગયો છે .”
અત્યાર સુધી સંવાદ સાંભળી મનન કરી ચંપકભાઈ બોલ્યા ,” વડીલો /મિત્રો આવા સંવાદથી વિચારોની આપલે ઘણી જ ઉપયોગી છે .હેમંતકાકાએ કહ્યુ તેમ અપ્રદર્શીત લાગણી કે અપેક્ષા ,માટે જીવનની દરેક અવસ્થાએ થોડા કલાકો ફાળવવા જોઈએ .કૌટુંબિક માહોલમાં આવી લાગણી ,અપેક્ષાની સ્વજનો /સ્નેહીજનો સાથે વિચાર વિનિમય માટે સમયને અગ્રીમતાક્રમમાં રાખી માનવજીવનની ઉક્રાંતીમાં પ્રવેશી રહેલ કેટલીક માનસિકવિકૃતિઓથી બચી શકાય ( માનસિક તણાવ ,સ્વકેન્દ્રીતપણું,એકાકીપણું ,સ્વાર્થીપણુ …) .કેટલીકવાર સમયના અભાવના કારણે જ માતાપિતા ,ભાઈબહેન ,પુત્ર પુત્રી ,તથા અન્ય કૌટુંબીક સંબંધોમાં જાણ્યે અજાણ્યે સમય/સંજોગોની વ્યસ્તતાના કારણે ન્યાય ન આપી શક્યાના અપરાધભાવની લાગણી અથવા ઘણીવાર સામેની વ્યક્તિને લાગતું હોઈ કે મારી અવગણના કરવામાં આવી એવો અહેસાસ થતો હોય ત્યારે જે તે સમયના સંજોગો કે અન્ય લાચારીના કારણે આપણે નાલેશી કે લાગણી દુભાવ્યાનું અનુભવ્યે છે ,મગનકાકા તમે આ વિષયમાં શું વિચારો છો ?”.
મગનકાકા બોલ્યા ,”મેં સોશીયલ મીડિયામાં એક સરસ મઝાનું વાક્ય વાચ્યું છે, ‘ભાગ્ય લઈને આવવાનું ને કર્મ લઈને જવાનુ બસ આ નાનકડો પ્રવાસ એટલે આપણી જીંદગી ‘,ટુંકમાં જીવનમાં નશીબ અને કર્મનો સિધ્ધાન્ત પણ ભાગ ભજાવતો હોય છે એવુ મારુ માનવુ છે .ખરેખર આજે આ વાતમાં ખુબ મઝા પડી .”
અંતે આ ગામ ગોષ્ટિને વિરામ આપતો હોય તેમ નયન બોલ્યો ,” મુરબ્બી વડીલોં અને મિત્રો ,વાંચનથી આપણે જીવન વિષે જરૂરથી વિચારી શકીએ ,વળી તમારા જેવા વડીલો સાથેના સંવાદથી જીવન માટેનો આધારભૂત અનુભવ પણ સાંભળવા મળ્યો . ટુંકમાં આ સંવાદની શરૂઆત પુસ્તકના વાંચનથી કરી છે એટલે કહી શકાય કે જીવન પણ પુસ્તકાલય જેવું જ છે ,જેમાં કેટલાક પુસ્તકો સમય /સંજોગ પ્રમાણે અધૂરા પણ રહી જતા હોય .
જીવન પણ એક’ અઘૂરી ચોપડી’ જ છે. ‘